પ્ર.૧: રહ્યુમેટોલોજી અને રહ્યુમેટીક બીમારીઓ કોને કહીશુ?

જ: હાલ માં ૧૫૦ થી પણ વધારે પ્રકારના જુદા જુદા વા ની બીમારીઓ વિશે મેડિકલ સાયન્સ પાસે જ્ઞાન છે, જેનો વિસ્તાર માં અભ્યાસ એટલે રહ્યુમેટોલોજી અને એ બીમારીઓ એટલે રહ્યુમેટીક બીમારીઓ.

પ્ર.૨: આ બીમારીઓ ના લક્ષણો શું?

જ: મોટા પ્રમાણમાં આ બીમારીઓમાં સાંધામાં સોજો અને દુખાવો થાય છે, પણ ઘણા વા ની બીમારીઓના લક્ષણ અન્ય અવયવો જેવા કે આંખો, ચામડી, મો, ફેફસાં, કિડની અને ચેતાતંતુઓમાં પણ શરૂ થઈ શકે છે


પ્ર.૩: કયા કયા સાંધામાં આ બીમારીઓ આવી શકે છે?

જ: શરૂઆત શરીરના કોઈ પણ સાંધામાં થઈ શકે છે. ગરદન થી લઈને પગના નાના સાંધા સુધીના કોઈ પણ સાંધામાં સોજો અને દુખાવો શરૂ થઈ શકે છે.


પ્ર.૪: પ્રત્યેક સાંધાનો દુખાવો એટલે વા?

જ: ના. સાંધામાં દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. વા એમાનું એક કારણ છે.


પ્ર.૫: કઈ રીતે ખબર પડે કે દુખાવો વા ના લીધે છે?

જ: મોટા પ્રકારના વા માં સાંધામાં સોજો અને દુખાવો શરૂ થવો, સવાર માં સાંધાઓ અકડાઈ જવા, રોજબરોજ ના કામ માં મુશ્કેલી થવી વગેરે લક્ષણો વા ના હોઈ શકે છે.


પ્ર.૬: વા ના પ્રકાર કેટલા?

જ: હાલ માં ૧૫૦ થી પણ વધારે પ્રકારના વા વિશે અભ્યાસ છે. ગઠિયો વા, ઘસારો, મણકાના વા, લુપસ, શોગ્રન્સ, ગાઉટ, વાસકયલાઇટિસ, માયોસાઈટિસ, ઇનફેક્શન ના લીધે થતો વા, ચિકુનગુનિયા વગેરે ઘણા બધા પ્રકારમાં વા આવી શકે છે. વા ની બીમારીઓ નું લીસ્ટ આગળ જણાવેલ છે.


પ્ર.૭: વા થવાનુ કારણ શું?

જ: સામાન્યરીતે વા થવાના ઘણા બધા કારણો હોય છે, કોઈ એક ઠોસ કારણ કેહવુ મુશ્કેલ છે.ઘણા વા આનુવંશિક પણ હોય છે. કોઈ વા સ્ત્રીઓમાં તો કોઈ પુરુષોમાં જોવા મળે છે. માટે વા થવાનુ કારણ ઘણી વખત સમજાવવુ અઘરું છે.


પ્ર.૮: વા ના દુષ્પરિણામો શું શું થઈ શકે છે?

જ: વા જો સમયસર કાબૂ માં લેવા માં ના આવે, અથવા બરોબર ઈલાજ લેવામાં ના આવે તો સાંધામાં વિકૃતિઓ આવી શકે છે. આ ઉપરાંત આંખો, ચામડી, ફેફસાં, હૃદય, કિડની, ચેતાતંત્ર જેવા અન્ય અવયવો પર પણ દુષ્પરિણામ જોવા મળી શકે છે.


પ્ર.૯: વા કોને થઈ શકે છે

જ: વા કોઈને પણ અને ક્યારે પણ થઈ શકે છે. તાજા જન્મેલા બાળકથી લઈને વયોવૃદ્ધ ને કોઈને પણ વા થઈ શકે છે.



પ્ર.૧૦: વા ને રોકી શકાય ખરો?

જ: વા ને રોકી શકાય નહિ. કોઈ દવા કે પરેજી પાળીને વા ને આવતો રોકી શકાય નહિ.



પ્ર.૧૧: વા નો ઈલાજ શું?

જ: દુર્ભાગ્યવશ વા ને જડમુળ માંથી મટાડવા માટે કોઈ ઈલાજ હાલમાં નથી. પણ વા ની કાબૂ માં રાખી શકાય છે. જેવી રીતે મધુમેહ અને બ્લપ્રેશર ને આપડે દવા અને કાળજી લઈને કાબૂ માં કરીએ છીએ, તેવી રીતે વા ને કાબૂ માં રાખવા માટે પણ ઘણી બધી નવી દવાઓ હાલ મેડિકલ સાયન્સમાં મોજૂદ છે.


પ્ર.૧૨: વા જીવનભર રઈ શકે?

જ: હા. આશરે બધા વા જીવનભર રેહતા હોય છે. પણ વા ના લીધે થતો દુખાવો અને તેના દુષ્પરિણામો જીનવભર ના રહે, ત્વરિત નિદાન અને સારવાર લેવામાં આવે તો વા કાબૂ માં આવી શકે છે.


પ્ર.૧૩: વા ની દવા જીવનભર લેવી પડે ?

જ: વા ને કાબૂમાં રાખવા માટે દવા જીવનભર પણ લેવી પડી શકે છે. પણ સમયસર નિદાન અને ઉપચાર કરવામાં આવે ને વા ને કાબૂ માં રાખવામાં આવે તો ભવિષ્યમાં દવા બંધ પણ થઈ શકે છે, એનો નિર્ણય તમારા ડોક્ટર પર છોડવો.


પ્ર.૧૪: વા ની દવાઓના શરીરમાં દુષ્પરિણામ (સાઈડ ઇફક્ટ) ના થાય?

જ: થઈ શકે. દવાની આડઅસર શક્ય છે. પણ મોટા પ્રમાણમાં આડઅસરો સામાન્ય હોય છે, અને આપના ડોક્ટર બધા પાસાઓ ને ધ્યાનમાં લઈને જ દવા આપતા હોય છે, માટે દવાની આડઅસર વિશે ડોક્ટર સાથે ચર્ચા કરવી જરૂરી છે.


પ્ર.૧૫: વા ની તકલીફ માટે કયા ડોક્ટર પાસે જવુ?

જ: સામાન્યરીતે રહ્યુમેટોલોજિસ્ટ ડોક્ટર વા ની બીમારીઓ નો અભ્યાસ કરે છે અને આ વિષયમાં તજ્ઞ હોય છે. માટે વા ની બીમારીઓ ના ઈલાજ માટે રહ્યુમેટોલોજિસ્ટ ડોક્ટર નો અભિપ્રાય લેવો હિતાવહ છે.